ભારે વરસાદ વચ્ચે બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનને અધવચ્ચે જ અનાવલ નજીક રોકી દેવાઈ જાણો કારણ શું……..
અનાવલના પારસીફળીયામાં વિશાળકાય વૃક્ષ ધરાશાય: વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેન એક કલાક મોડી પડી
અનાવલ નજીક આવેલા પારસીફળીયા વિસ્તારમાં આજે એક અણધારી ઘટના સામે આવી છે,જેમાં એક વિશાળકાય વૃક્ષ અચાનક ધરાશાય થઈ ગયું હતું.આ તોતિંગ વૃક્ષ સીધું વઘઇ-બીલીમોરા રેલવે ટ્રેક પર આવીને ખાબકતાં રેલ વ્યવહાર ખોરવાયો હતો, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, બીલીમોરાથી ઉપડીને વઘઇ જતી નેરોગેજ ટ્રેનનો અનાવલ ગામ નજીક પહોંચવાનો નિયમિત સમય બપોરે ૧૨:૦૦ કલાકનો હોય છે. જોકે,ટ્રેક પર વૃક્ષ પડી જવાની આ ઘટના બરાબર ટ્રેનના આવવાના સમયે જ બની હતી.અનાવલ ગામ નજીક જ ટ્રેક અવરોધાતાં ટ્રેનને અધવચ્ચે જ રોકી દેવાની ફરજ પડી હતી.અને લગભગ એક કલાકની જહેમત બાદ રેલવે ટ્રેક ક્લિયર કરાયો હતો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ટ્રેક પરથી વિશાળકાય વૃક્ષના હિસ્સાઓને કાપીને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. આશરે એક કલાકની ભારે જહેમત બાદ ટ્રેક સંપૂર્ણપણે સાફ કરવામાં આવ્યો હતો.જોકે ટ્રેક બ્લોક થઈ જવાને કારણે બીલીમોરા-વઘઇ ટ્રેન પોતાના નિયત સમય કરતાં એક કલાક જેટલી મોડી પડી હતી.ટ્રેક ક્લિયર થયા બાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર જાણવા મળ્યા નથી.




