નિહાલી ગામે 1.5 વર્ષની કદાવર દીપડી પાંજરે કેદ.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના નિહાલી ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓના આંટાફેરા વધતા ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા.પાલતુ પશુઓ પર દીપડાના વધી રહેલા હુમલા અને ખેતરાળ તેમજ રહેણાંક વિસ્તારમાં દીપડાના વધી રહેલા આંટા ફેરા અંગે ગ્રામજનોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતા વન વિભાગે સતર્કતા દાખવી ગામના પટેલ ફળિયામાં ચાર રસ્તા નજીક પાંજરું ગોઠવ્યું હતું.જેમાં મારણ તરીકે મરઘી મુકી વનવિભાગની ટીમે દીપડાને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરી હતી. તા-8 એપ્રિલ 2026 ને બુધવારના રોજ સવારે 6:30 વાગ્યાના અરસામાં એક કદાવર દીપડી પાંજરામાં મુકેલ મારણ જોઈ લલચાઈ ગઈ હતી અને તે ખાવા જતા આબાદ રીતે પાંજરે પુરાઈ હતી.દીપડી પાંજરે પુરાતા જ બહાર નીકળવા ધમપછાડા કરી ત્રાડો નાખતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના અંગે વનવિભાગના અધિકારીઓને જાણ કરી હતી.વન વિભાગના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે આવી પાંજરે પુરાયેલ 1.5 વર્ષની દીપડીનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છેલ્લા 40 દિવસમાં એક જ સ્થળે થી ચાર દીપડા પાંજરે પુરાવા છતાં ગ્રામજનોની ચિંતા હજી શમી નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સીમ વિસ્તાર અને ગામની આસપાસ હજી પણ અન્ય દીપડાઓ મુક્તપણે ફરી રહ્યા છે.ખાસ કરીને રાત્રિના સમયે ખેતરમાં પિયત માટે જતા ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ છે.ગામના અગ્રણીઓ અને રહીશોએ વન વિભાગની કામગીરીને બિરદાવી છે, પરંતુ સાથે એવી પણ માંગ કરી છે કે આ જ સ્થળે ફરીથી પાંજરું ગોઠવવામાં આવે. ગ્રામજનોનું માનવું છે કે હજી પણ દીપડાનો પરિવાર આ વિસ્તારમાં સક્રિય હોઈ શકે છે. વન વિભાગ દ્વારા હાલમાં પકડાયેલા દીપડાનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરી તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.




