૧૦મી સપ્ટેમ્બર: વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ
સરકારી મેડિકલ કોલેજ-સુરતના મનોચિકિત્સા વિભાગ દ્વારા ‘આત્મહત્યા નિવારણ- ચર્ચા કરો’ વિષય પર સેમિનાર યોજાયો
‘આત્મહત્યા નિવારણ.. અભિગમ બદલીએ” થીમ હેઠળ સરકારી મેડિકલ કોલેજ દ્વારા સાપ્તાહિક કાર્યક્રમોનો પ્રારંભ
તા.૧૦થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન આત્મહત્યા નિવારણ અંગે રેલી, પોસ્ટર સ્પર્ધા, દોડ તેમજ ફેકલ્ટી વર્કશોપ સહિતની પ્રવૃત્તિઓ દ્વારા લોકોને જાગૃત કરાશે
તા.૧૦ સપ્ટેમ્બર- ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ અંતર્ગત સુરત નવી સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગ દ્વારા ‘આત્મહત્યા નિવારણ.. અભિગમ બદલીએ” થીમ હેઠળ સાપ્તાહિક કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે ‘આત્મહત્યા નિવારણ- ચર્ચા કરો’ વિષય પર સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વાર્તાલાપ કરી અંગત અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે મનોચિકિત્સા વિભાગના વડા ડૉ. ઋતંભરા મહેતાએ પ્રાસંગિક ઉદબોધનમાં વિદ્યાર્થીઓને જોખમ પરિબળો, રક્ષણાત્મક પરિબળો અને ચેતવણી સંકેતો અંગે જાણકારી આપી તેને ઓળખવાની સમજ આપી વિદ્યાર્થીઓને પોતાના કે અન્યો માટે મદદ લેવા, સમાધાન મેળવવા ચર્ચા કરવા અને સંવેદના વ્યક્ત કરવા અનુરોધ કર્યો હતો. મુશ્કેલી સમયે વાતચીત કરવી, સહાય લેવી એ જ જીવન બચાવવાનો સાચો માર્ગ છે એમ ભારપૂર્વક જણાવ્યું હતું.
માઇક્રોબાયોલોજી વિભાગના એસો.પ્રો.ડૉ. લતિકા શાહ લિખિત પુસ્તક “મેડિકલ સ્ટુડન્ટ્સમાં માનસિક સ્વાસ્થ્ય”નું પણ વિમોચન કરાયું હતું.
આ પ્રસંગે સરકારી મેડિકલ કોલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટએ તમામ મેડિકલ વિદ્યાર્થીઓએ આત્મહત્યા નિવારણના શપથ ગ્રહણ કરાવ્યા હતા.
નોંધનીય છે કે, તા.૧૦થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન મનોચિકિત્સા વિભાગ આત્મહત્યા નિવારણ અંગે રેલી, પોસ્ટર સ્પર્ધા, દોડ તેમજ ફેકલ્ટી વર્કશોપ સહિતની પ્રવૃત્તિઓ થકી લોકોને જાગૃત કરશે.





