મેયર દક્ષેશભાઈ માવાણીની અધ્યક્ષતામાં ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ નિમિત્તે ‘સાથી હાથ બઢાના’ કાર્યક્રમ યોજાયો
‘સુરત શહેર ટૂંક સમયમાં આત્મહત્યા નિવારણમાં પણ ‘ઝીરો કેઝ્યુલ્ટી’ સાથે શ્રેષ્ઠ પરિણામ મેળવે એવા પ્રયત્નો શરૂ થઇ ચુક્યા છે.’: મેયર દક્ષેશભાઈ માવાણી
શિક્ષકોને શાળામાં અને પરિવારના સભ્યોને ઘરમાં ‘પરિવાર મિત્ર’ બની હુંફ સાથે સકારાત્મક માહોલ જાળવી બાળકો અને યુવાઓ સાથે નિત્ય સંવાદ કરવા અનુરોધ કરતા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત
મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીની અધ્યક્ષતામાં અડાજણ-પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ નિમિત્તે ‘સાથી હાથ બઢાના’ કાર્યક્રમ યોજાયો હતો. સુરત મનપા, પોલીસ કમિશનર કચેરી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, VNSGU યુનિ. તેમજ પેરેન્ટિંગ ફોર પીસ અને અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પરિવાર મિત્ર અભિયાન અંતર્ગત શહરેમાં ઝડપથી વધી રહેલા આત્મહત્યાના કિસ્સાઓને ઘટાડવાનો હતો.
આ પ્રસંગે મેયરશ્રીએ જણાવ્યું કે, શહેર સ્વચ્છતા અને શુદ્ધ હવા સહિતના વિવિધ લક્ષ્યાંકોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સુરત શહેર ટૂંક સમયમાં આત્મહત્યા નિવારણમાં પણ ‘ઝીરો કેઝ્યુલટી’ સાથે શ્રેષ્ઠ પરિણામ મેળવે એવા પ્રયત્નો શરૂ થઇ ચુક્યા છે. તેમણે ઉત્સવપ્રેમી એવા સુરતવાસીઓને એકબીજાને મદદરૂપ થવાના સંકલ્પ સાથે આગળ વધી સમાજને સુસાઈડ-ફ્રી બનાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું કે, વિવિધ કારણોસર શહેરમાં રોજેરોજ વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓ નિવારવા સામુહિક પ્રયત્નના ભાગરૂપે આ પ્રકારના કાર્યક્રમો યોજાતા રહે તે જરૂરી છે. તેમણે છેલ્લા ૩ વર્ષમાં શહેરમાં બનેલા આત્મહત્યાના કિસ્સાઓની આંકડાકીય માહિતી આપી હતી. પોલીસ વિભાગ દ્વારા કારણ, ઉંમર અને વિસ્તાર અનુસાર થયેલા તારણ પ્રમાણે સૌથી વધુ ૨૬ ટકા ઘરેલું તણાવ ત્યારબાદ ૨૪ ટકા લાંબી બીમારી, ૧૯ ટકા આર્થિક તંગી, ૧૨ ટકા માનસિક તણાવ તેમજ ૧૧ ટકા બાળકો કારકિર્દીના પ્રશ્નો સહિત અન્ય મળી કુલ ૧૮૬૬ આત્મહત્યાના કિસ્સાઓ બન્યા હતા. જેમાં સૌથી વધુ લીંબાયત, કાપોદ્રા, સરથાણા, રાંદેર, અમરોલી, વરાછા, ચોક બજાર, સચિન અને ઉમરા વિસ્તારમાં આત્મહત્યાના બનાવો નોંધાય છે તેમ જણાવ્યું હતું.
વધુમાં કમિશનરશ્રીએ શહેરમાં બોર્ડના પરિણામ સમયે શરૂ થયેલી હેલ્પલાઈન પર વિદ્યાર્થીઓ સિવાય આવેલા અન્ય કોલની માહિતી આપતા જણાવ્યું કે, ૪ મહિનામાં ૧૩૫ સ્ત્રી અને ૩૦૯ પુરૂષ મળી કુલ ૪૪૪ ફોનકોલની નોંધણી થઇ હતી. કોલ કરનાર સાથે હકારાત્મક અભિગમ દાખવી તેમનું તાત્કાલિક લોકેશન મેળવી અંદાજિત ૮૭ ટકા લોકોને સફળતાપૂર્વક બચાવી લેવાયા હતા. સાથે જ તેમણે શિક્ષકોને શાળામાં અને પરિવારના સભ્યોને ઘરમાં ‘પરિવાર મિત્ર’ બની હુંફભર્યું વાતાવરણ અને સકારાત્મક માહોલ જાળવી બાળકો અને યુવાઓ સાથે નિત્ય સંવાદ કરવા અનુરોધ કર્યો હતો. જેથી મોટા ભાગની સમસ્યા પ્રાથમિક તબક્કે જ નિવારી કે અટકાવી શકાય.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમારે શહેર-જિલ્લાની શાળાઓમાં પણ શિક્ષકોને યોગ્ય તાલીમ આપી બાળકો માટે પરિવાર મિત્ર બનાવવાની તૈયારી દાખવી હતી.
‘સાથી હાથ બઢાના’ અભિયાન અંતર્ગત પેરેન્ટિંગ ફોર પીસ અને અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થાના ગીતાબેન શ્રોફે કહ્યું કે, ‘પરિવાર મિત્ર અભિયાન’ એ આત્મહત્યા નિવારણ અને માનસિક આરોગ્ય સહાય માટેના લોકો-
આધારિત(community-based) નેટવર્ક છે. જેમાં નિશ્ચિત વ્યક્તિઓને ૧૬ કલાકની તાલીમ આપી એક સારા શ્રોતા-‘પરિવાર મિત્ર’ તરીકે તૈયાર કરવામાં આવે છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ૧૧૨ અથવા આત્મહત્યા નિવારણ હેલ્પલાઈન પર ફોન કરતા વ્યક્તિને તાત્કાલિક, સહાનુભૂતિપૂર્ણ અને તાલીમપ્રાપ્ત સહાય આપવાનો છે. જેના માટે ‘પરિવાર મિત્રો’ હંમેશાં તૈયાર રહેશે. સર્વજન સેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ ફેનિલ બી. કુકડીયા દ્વારા ચલાવતું વિદ્યાર્થી આત્મહત્યા રોકો અભિયાનનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.
આ પ્રસંગે VNSGUના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડા, ન.પ્રા.શિ.સમિતિના અધ્યક્ષશ્રી રાજેન્દ્રકુમાર કાપડીયા, બાળરોગ નિષ્ણાંત ડૉ.કેતન ભરડવા, ડૉ.આભા ગોયાણી , ગણેશભાઈ સોલંકી, શી ટીમના સભ્યો અને પરિવાર મિત્રના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.





