કરચેલીયા ચાલીસગાળા ફળિયામાં અઢી વર્ષની કદાવર દીપડી પાંજરે કેદ…
મહુવા તાલુકાના કરચેલીયા ગામે આવેલ ચાલીસ ગાળા ફળિયામાં છેલ્લા ઘણા દિવસથી રહેણાંક તેમજ ખેતરાળ વિસ્તારમાં પરિવાર સાથે બિન્દાસ્ત ફરતા દીપડા નજરે પડતા ઉપરાંત પાલતુ મરઘા અને ફળિયામાં ફરતા કુતરાનો શિકાર કરવાના બનાવો વધતા ગ્રામજનોમા ભયનો માહોલ છવાઈ ગયો હતો.દીપડાના આ વધી રહેલા આતંક અંગે કરચેલીયા ગ્રામજનોએ મહુવા વન વિભાગના અધિકારીઓને જાણ કરતા મહુવા વન વિભાગની ટીમ દ્વારા કરચેલીયા ગામે ચાલીસ ગાળા ફળિયામાં ઈંટના ભઠ્ઠા નજીક પાંજરું ગોઠવી તેમાં મારણ તરીકે મરઘી મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરી હતી.જે અંતર્ગત ગત રાત્રીના 10 વાગ્યાના અરસામા એક અઢી વર્ષની કદાવર દીપડી પાંજરા નજીક આવી તેમાં મુકલે મારણ જોઈ લલચાઈ ગઈ હતી અને તે ખાવા જતા આબાદ રીતે પાંજરે પુરાઈ હતી.ઘટના અંગે વન વિભાગના અધિકારીઓને જાણ થતાં પાંજરે પુરાયેલ દીપડીનો કબ્જો લીધો હતો.દીપડી પાંજરે પુરાતા મહુવા વન વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.





