સુરત જિલ્લામાં મેલેરીયા નિયંત્રણ માટે આરોગ્ય શાખાની સધન કામગીરીઃ
૧૬૬૬ સ્થળોએ પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવી છે
મેલેરીયા મુકત ગુજરાત અભિયાનને વેગવતુ બનાવવા માટે સુરત આરોગ્ય વિભાગ હસ્તકની જિલ્લા મેલેરિયા શાખા દ્વારા વાહક જન્ય રોગ નિયંત્રણ માટે વહેલુ નિદાન, સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી સુનિશ્ચિત કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અનિલ પટેલના માર્ગદર્શન તેમજ જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.પ્રશાંત સેલરના સુપરવિઝન હેઠળ જિલ્લા સુરતમાં ૨૪ ઓગષ્ટ થી ૨ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમ્યાન સ્પેશ્યલ સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને વાહક નિયંત્રણની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં વાહક જનિત રોગ નિયંત્રણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વાહકજન્ય રોગોનું વધુ જોખમ ધરાવતા, સુરત જિલ્લાના સુરત શહેરની સીમા નજીકનાં ગ્રામ્ય વિસ્તારો તેમજ ઔદ્યોગિક વિસ્તારો ધરાવતા ૨૯ ગામોમાં વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે વધારાની ટીમો દ્વારા મહિનાના દર પહેલા અને ત્રીજા શનિવારે સંપૂર્ણ વિસ્તાર આવરી લેવાય તે રીતે સ્પેશ્યલ સર્વેલન્સ કામગીરી કરાવવામાં આવે છે. તા.૦૧/૦૧/૨૦૨૩ થી તા.૨૪/૦૯/૨૦૨૩ સુધી જિલ્લા સુરતમાં મેલેરીયાના કુલ ૭૨ કેસો તેમજ ડેન્ગ્યુના કુલ ૩૬ કેસો નોંધાયા છે. જ્યાં લાંબા સમય સુધી પાણી ભરાય રહેતુ હોય, એવા ૧૬૬૬ સ્થળોએ પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવી છે. આ ગપ્પી માછલી મચ્છરનો ખોરાક તરીકે ઉપયોગ કરીને મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે પરીણામલક્ષી કાર્યપદ્ધતિ છે. લોકોમાં મચ્છર ઉત્પત્તિ અને મેલેરીયા તથા ડેન્ગ્યુ – ચિકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે પ્રદર્શન, ભીંતસૂત્રો, પત્રિકા વહેંચણી, બેનર, જુથચર્ચા, પ્રેસનોટ, કેબલ ટીવી, એફ.એમ.રેડીયો, રેલીઓ, માઈકીંગ, ભવાઈ શો, નાટક શો તેમજ સોશ્યલ મીડીયા જેવા માધ્યમો દ્વારા જનસમુદાયમાં વાહક જન્ય રોગો અંગે બહોળો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
મચ્છરથી ફેલાતાં વાહજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેંગ્યુ, ચીકનગુન્યાથી બચવા આટલું અવશ્ય કરીએ-
પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ, જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્ય રીતે સાફ કરી સુકવ્યા બાદ તેને ફરીથી ઉપયોગમાં લઈએ.
અગાસી-ફળીયામાં રહેલ ભંગાર દૂર કરીએ, ફ્રીઝની ટ્રે,પક્ષીકુંજ અને પશુઓને પીવાની કૂંડી નિયમિત સાફ કરીએ.
છોડના કુંડામાં જમા રહેતા વધારાના પાણીનો નિકાલ કરીએ,
ખુલ્લા રહેતા મોટા પાણી ભરેલા સ્થળોએ પોરાંભક્ષક માછલી મૂકીએ.
મચ્છરના કરડવાથી બચવા માટે મચ્છરદાની, મોસ્ક્યુટો રીપેલન્ટ, મચ્છર અગરબત્તીનો ઉપયોગ કરવો
પૂરું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા..
મેલેરીયા-ડેન્ગ્યુનો રોગચાળો પ્રસરતો રોકવા માટે તમામ નાગરિકો આ સમયગાળામાં તેમના ઘર અને કાર્યસ્થળની સુયોગ્ય રીતે સઘન સફાઈ કરે તેમજ અન્ય ૧૦ નાગરિકોને આવુ કરવા માટે પ્રેરે.
તાવ આવે તો ૧૦૪ નંબર ડાયલ કરો અને મફત સારવાર મેળવો.


