નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારીના અધ્યક્ષસ્થાને ધો.૧૦ અને ૧૨ બોર્ડની પૂરક પરીક્ષા-૨૦૨૫ની પૂર્વતૈયારી અંગે બેઠક યોજાઇ
સુરત જિલ્લાના કુલ ૪૯,૧૦૮ વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા આપશે
વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચન કરતા નિવાસી અધિક કલેકટર
ધો.૧૦ તેમજ ધો.૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા.૨૩ જૂનથી ૩ જુલાઇ દરમિયાન સુરતના કુલ ૬૨ કેન્દ્રો પર યોજાશે
નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારીના અધ્યક્ષ સ્થાને ધો.૧૦ અને ૧૨ બોર્ડની પૂરક પરીક્ષા-૨૦૨૫ની પૂર્વ તૈયારી અંગે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાનારી ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષામાં સુરત જિલ્લાના ધો.૧૦ના ૨૯,૪૬૯, ધો.૧૨ સા.પ્ર.ના ૭,૫૧૬ અને વિ.પ્ર.ના ૧૨,૧૨૩ મળી કુલ ૪૯,૧૦૮ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. જેમાં ધો.૧૨ વિ.પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા તા.૧૨થી ૧૪ જૂન, તેમજ ધો.૧૦, ધો.૧૨ સા.પ્રવાહ અને વિ.પ્રવાહની બોર્ડની પરીક્ષા તા.૨૩ જૂન થી ૩ જુલાઈ દરમિયાન સુરત જિલ્લાના કુલ ૬૨ કેન્દ્રો પર યોજાશે.
આ પ્રસંગે અધિક કલેક્ટરશ્રીએ શાળા સંચાલકોને વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, સાનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપવાથી બાળકો બેસ્ટ પરફોર્મન્સ આપી શકે છે. સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે ટ્રાફિક, વીજળીનો અવિરત પ્રવાહ કે અવરજવર માટે બસ સુવિધાનું યોગ્ય આયોજન કરવા વિવિધ વિભાગોને જણાવ્યું હતું. અંતરિયાળ વિસ્તારોથી આવતા બાળકોને સમયસર એસ.ટી બસ ઉપલબ્ધ થઈ રહે તેવી ગોઠવણ કરવા, શહેરમાં મેટ્રોની કામગીરીને લઈને પણ બાળકોને આવાગમનની કોઈ સમસ્યા ન થાય અને સમયસર પરીક્ષાસ્થળે પહોંચે તે જોવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમાર તેમજ અન્ય વિભાગોના અધિકારી,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






