રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા “અનુ. જનજાતિના યુવક-યુવતિઓ માટે “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ” યોજાશે
ઉમેદવારોએ તા.૧૦ ઓક્ટોબર સુધી અરજી કરવી
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી દ્વારા રાજ્યના અનુસૂચિત જનજાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ રાજ્યના જુદા-જુદા વિસ્તારો, સાગર સંપત્તિ, ઉદ્યોગો તથા સાગરકાંઠે વસવાટ કરતી પ્રજાનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા-સંસ્કૃતિ વગેરેનો પ્રત્યક્ષ પરિચય કેળવી તથા સાગરલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રેરાય તેવા ઉમદા હેતુથી પ્રતિ વર્ષે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવામાં આવે છે.
ચાલુ વર્ષે ૧૦ દિવસ માટે સાહસિક સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ઓક્ટોબર-૨૦૨૩ માસ દરમ્યાન સુરત ખાતે યોજાશે. જેમા રાજ્યમાંથી મળેલી અરજીઓમાંથી ઉમેદવારો પસંદ કરી ૧૦૦ યુવક-યુવતિઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાવવા ઈચ્છતા યુવક-યુવતિઓ તા.૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેમણે પોતાના જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ મેળવીને સાથે ૧) નામ-સરનામું, મોબાઈલ નં. ૨) જન્મ તારીખ ૩) શૈક્ષણિક લાયકાત ૪) વ્યવસાય ૫) એન.સી.સી/પર્વતારોહણ/ રમતગમત સ્પર્ધામાં ભાગ લીધાની વિગત ૬) શારિરીક તંદુરસ્તીનું તબીબી પ્રમાણપત્ર ૭) વાલીની સમંતિ ૮) પાસપોર્ટ ફોટો ૯) ઓળખ કાર્ડ જેવી માહિતી દર્શાવતી અરજી તા.૧૦/૧૦/૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જુની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, પ્રથમ માળ, નાનપુરા, સુરત ખાતે મોકલી આપવાની રહેશે.
પસંદગી સમિતિ દ્વારા કુલ-૧૦૦ લાયક યુવાઓની પસંદગી થશે. જેઓને ટેલિફોનીક જાણ કરાશે. ભાગ લેનારને નિવાસ, ભોજન તથા આવવા-જવાનું ભાડુ, ભાગ લેવા બદલ પ્રમાણપત્ર અપાશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી-સુરતની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.


