વ્હાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનાં લાભાર્થીઓએ આયુષમાન કાર્ડ કઢાવવા અનુરોધઃ
બન્ને યોજનાઓના લાભાર્થીઓએ જરૂરી ઓળખાણ, સરનામા અને આવકના દસ્તાવેજ સાથે કાર્ડ કઢાવી લેવુંઃ
રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઓગષ્ટ-૨૦૧૯થી કાર્યરત વહાલી દીકરી યોજના હેઠળ સુરત જિલ્લામાં ઓગસ્ટ-૨૦૧૭ થી ઓગસ્ટ-૨૦૨૩ સુધીમાં કુલ ૧૬,૪૮૮ લાભાર્થીઓને મંજુરી મળી છે. જયારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ જિલ્લામાં લાભાર્થીઓની સંખ્યા ૯૨૪૮૩ છે. જેથી આ યોજનાઓના તમામ લાભાર્થીઓને તા.૧૩/૦૯/૨૦૨૩ સુધીમાં આયુષ્માન કાર્ડનો લાભ આપવાની કામગીરી ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવી છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાભાર્થીને રૂપિયા ૧૦ લાખની મર્યાદામાં વિનામૂલ્યે આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવે છે. વ્હાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનાં જિલ્લાનાં તમામ લાભાર્થીઓએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર કે ગ્રામ પંચાયતના વીસીઇનો તાત્કાલીક સંપર્ક કરવા સુરત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.


