વાંસકુઈ ખાતે કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાં મૃત પશુઓના પાર્સલ તણાઈ આવતા રાવ
મહુવા તાલુકાના વાંસકુઈ ગામેથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની નહેરના પાણીમાં મૃત પશુઓના પાર્સલ તણાઈ આવતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.આ મૃત પશુઓમાંથી આવતી દુર્ગંધને લઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.ઘટના અંગે ગામના મહિલા સરપંચને જાણ થતા ત્વરિત તેમણે ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરી નહેરના પાણીમાં મૃત પશુઓ નાખી પાણી દૂષિત કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વાંસકુઈ ગામની સીમમાંથી કાકરાપાર ડાબા કાંઠાની મુખ્ય નહેર પસાર થાય છે.આ નહેરના પાણીમા કેટલાક ઈસમો દ્વારા પ્લાસ્ટિકની બેગમાં મૃત પશુઓના અવશેષો ભરી નહેરના પાણીમા નાખી દીધા હતા.આ મૃત પશુઓના અવશેષો ભરેલ 20 જેટલી બેગો વાંસકુઈ નેવાણીયા ફળિયા નજીક આવેલ પેટીગરનાળા પુલ પાસે અટકી ગયા હતા.નહેરના પાણીમાં તણાઈ આવેલ આ મૃત પશુઓના પાર્સલમાંથી તીવ્ર દુર્ગંધ આવતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.નહેરના પાણીમાં 2 ફૂટ ડુબાણમા હોય જેથી ત્યાં નહેરના પાણીમાં તણાઈ આવેલ તમામ સામાન અટકી જાય છે અને ત્યાં વધારે ગંદકી સાથે દુર્ગંધ ફેલાય છે.પ્લાસ્ટિકની બેગો પુલ નજીક જોઈ અને તેમાંથી આવતી અસહ્ય દુર્ગંધ અંગે ત્વરિત સ્થાનિકોએ ઘટના અંગે વાંસકુઈ ગામના મહિલા સરપંચ નિલાબેન મહેતાને જાણ કરી હતી.સરપંચ દ્વારા ઘટના સ્થળે આવી આ દુર્ગંધ અંગે ચેક કરાવતા પ્લાસ્ટિકની બેગમાંથી મૃત પશુઓના અવશેષો મળી આવ્યા હતા જેથી પાણીને દૂષિત કરનાર ઈસમો વિરુદ્ધ સ્થાનિક રહીશો સરપંચમા ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો.ઘટના અંગે સરપંચ દ્વારા ત્વરિત મહુવા પોલીસને લેખિત જાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી પાણી દૂષિત કરનાર ઈસમોને શોધી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની રજુઆત કરી હતી.
અવારનવાર આ નહેરમાં મૃત પશુઓના પાર્સલ આવે છે ત્યારે આ વિસ્તારના ગામોમાં ફિલ્ટર પાણી પહોંચાડતી યોજના નજીકમાં જ કાર્યરત હોય રોગચાળા ની દહેશત છે ત્યારે તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે.
પ્રકાશ મહેતા -પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય






