Traffic Tail

સુરત જિલ્લાના માંડવી ખાતે મિલેટ્સ પાકોના મહત્વ અંગે તાલુકાકક્ષાનો જાગૃતિ સેમિનાર અને બે દિવસીય કૃષિ મેળાને ખુલ્લો મૂકતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

SHARE:

‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-૨૦૨૩’

સુરત જિલ્લાના માંડવી ખાતે મિલેટ્સ પાકોના મહત્વ અંગે તાલુકાકક્ષાનો જાગૃતિ સેમિનાર અને બે દિવસીય કૃષિ મેળાને ખુલ્લો મૂકતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો અનુરોધ કરતા આદિજાતિ વિકાસ મંત્રી

પૌષ્ટિક તત્વોથી ભરપુર મિલેટ્સ પાકોનું સેવન કરી સ્વસ્થ રહીએ: સાંસદ પ્રભુભાઈ વસાવા

માંડવી તાલુકાની ૨૨ ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

મિલેટ્સના મૂલ્યવર્ધન, પોષણ અને આરોગ્યમાં ધાન્ય પાકોના મહત્વ અને પ્રાકૃતિક ખેતી અંગે નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને અપાયું માર્ગદર્શન

યુનો દ્વારા વર્ષ-૨૦૨૩ને ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, સમગ્ર રાજ્યમાં ઓકટોબર મહિનામાં તાલુકાકક્ષાએ મિલેટ્સ ઉત્સવની ઉજવણી થઇ રહી છે, જેના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા સુરત જિલ્લામાં માંડવી તાલુકા મથકે નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે તાલુકાકક્ષાના ‘મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ જાગૃતિ અભિયાન તેમજ બે દિવસીય કૃષિ મેળા’ને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ ખુલ્લો મુકયો હતો. અહીં માંડવી તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેતપેદાશોનું વેચાણ સહ પ્રદર્શન યોજાયુ હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘પહેલુ સુખ તે જાતે નર્યા’. આપણા વડીલો મિલેટ્સ પાકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા, જેથી તેઓ આજે પણ તંદુરસ્ત છે. બાજરી, જુવાર, જવ, રાગી જેવા આપણા ધાન્યો અનેક પોષકતત્વોથી ભરપૂર અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી કેન્સર જેવા અસાધ્ય રોગોનુ પ્રમાણ વધ્યું છે, જેથી પ્રાકૃતિક ખેતી અપનાવી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની હિમાયત કરી હતી. આગામી બજેટમાં ગાય ખરીદી માટે આપવામાં આવતી ૪૨ હજારની સહાય વધારીને ૬૦ હજાર કરવામાં આવનાર હોવાની વિગતો મંત્રીએ આપી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જયારે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરી રહ્યું છે,ત્યારે બાજરી, જુવાર, રાંગી, બન્ટી-બાવટો, કોદરા, સામો જેવા મિલેટ્સ પાકો પોષકતત્વોથી ભરપુર અને તંદુરસ્તીનો ખજાનો છે. જેને દૈનિક ખોરાકમાં સામેલ કરીને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો અનુરોધ કર્યો હતો. આ સરકાર ખેડુતોના હિતને કેન્દ્રમાં રાખી કાર્ય કરનારી સરકાર છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સુરત જિલ્લામાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન ૧.૨૬ લાખ ખેડૂતોને રૂ.૩૦.૭૨ કરોડની સહાય ચુકવવામાં આવી છે. સાંસદશ્રીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની વિગતો આપી હતી.
મિલેટ્સ પાકોમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ અને તેના વૈજ્ઞાનિક અભિગમ વિષે જાણકારી આપતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિકશ્રી ડૉ. જે.એચ. રાઠોડે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કરી જીવાત નિયંત્રણના ઉપાયો જણાવ્યા હતા.
આ અવસરે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સતિષ ગામીતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય મિલેટ્સની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણા હલકા ધાન્ય પૌષ્ટિકથી ભરપુર છે. નવી પેઢી મિલેટ્સને ખોરાકમાં ઉપયોગ કરતા થાય તે જરૂરી છે. સૌને મિલેટ્સ અનાજનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે ૧૫મા નાણાપંચ હેઠળ માંડવી તાલુકાની ગ્રામ પંચાયતોને પાણીના ૨૨ ટેન્કર અર્પણ તથા ખેતીવાડીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય એનાયત કરવામાં આવી હતી.
આ અવસરે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહાકાલ, મામલતદાર મનિષભાઈ પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એન.જી.ગામીત, અગ્રણી સર્વશ્રી નિતિનભાઈ શુકલ, નટુભાઈ રબારી, કનુભાઈ, દિનેશભાઈ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!