ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાના માટે મહત્વપૂર્ણ સમાચાર QR કોર્ડ થી મળશે પરીક્ષા કેન્દ્ર નું લોકેશન….
જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાના આયોજન અર્થે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ
QR કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ-વાલીઓ પરીક્ષા કેન્દ્રોનું સચોટ લોકેશન મેળવી શકશે
પરીક્ષાલક્ષી પૂછપરછ માટે તા.૨૫ ફેબ્રુઆરીથી ૧૯ માર્ચ સુધી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ૦૨૬૧-૨૬૬૨૯૦૨ ઉપર કાર્યરત કંટ્રોલરૂમ
DEO કચેરી દ્વારા ‘પરીક્ષામિત્ર હેલ્પલાઇન’ શરૂ કરાઈ: વિવિધ વિષયોના કુલ ૧૯૦ શિક્ષકો તથા ૨ મનોવૈજ્ઞાનિકો એમ કુલ ૧૯૨ માર્ગદર્શકોની ટીમ માર્ગદર્શન આપશે
આદિજાતિ વિદ્યાર્થીઓ માટે સવિશેષ વ્યવસ્થાના ભાગરૂપે GSRTC દ્વારા ૧૪ એક્સ્ટ્રા બસ પણ કાર્યરત
આ વર્ષે પરીક્ષામાં લાજપોર જેલના ધો.૧૦નાં ૧૮ અને ધો.૧૨ના ૧૪ મળી કુલ ૩૨ વિદ્યાર્થીઓ ભાગ લેશે
રાજ્ય સહિત સુરત જિલ્લામાં આગામી તા.૨૬ ફેબ્રુઆરીથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટર અને જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.
કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા તેમજ શહેર-જિલ્લામાં ટ્રાફિકના સંજોગોમાં બાળકો નિયત સમયે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવા પોલીસ તંત્રને જણાવ્યુ હતું.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયાએ જિલ્લામાં પરીક્ષા સમયે કોઈ ગેરરીતિ ના થાય અને બાળકો તણાવમુક્ત સ્થિતિમાં પરીક્ષા આપી શકે તેવી દરેક સગવડ ઉભી કરવાના આયોજન અંગે વિગતો આપી હતી.
બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.ભગીરથસિંહ પરમારે પરીક્ષા અંગેની તમામ તૈયારીઓ સુચારુરૂપે થઇ હોવાનું જણાવ્યું કે, આ વર્ષે ગત વર્ષ કરતા ૧૨,૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સાથે રાજ્યમાં સૌથી વધુ કુલ ૧.૬૫ લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. તેમજ આ વર્ષે પરીક્ષામાં લાજપોર જેલના ધો.૧૦નાં ૧૮ અને ધો.૧૨ના ૧૪ મળી કુલ ૩૨ વિદ્યાર્થીઓ પણ ભાગ લેશે.
વધુમાં ગ્રામ્ય તથા અંતરિયાળ વિસ્તારોના આદિજાતિ વિદ્યાર્થીઓ માટે સવિશેષ વ્યવસ્થાના ભાગરૂપે GSRTC દ્વારા ૧૪ એક્સ્ટ્રા બસ પણ કાર્યરત રહેશે. સાથે જ પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારની પૂછપરછ અને મદદ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કાર્યરત કંટ્રોલરૂમનો ફોન નં.૦૨૬૧-૨૬૬૨૯૦૨ ઉપર સંપર્ક કરી શકાશે એમ તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, સુરત શહેર-જિલ્લામાં ધો.૧૦ના ૯૨,૨૮૦ ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)ના ૫૫,૦૫૦ તથા ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના ૧૫,૭૪૦ મળી કુલ ૧,૬૫,૬૯૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા ૧૫ ઝોનમાં ૮૮ પરીક્ષા કેન્દ્રો, ૫૬૧ બિલ્ડીંગો, ૫૬૫૩ બ્લોકમાં યોજાશે. તેમજ તા.૫ થી ૧૬ ફેબ્રુ. સુધી ૪૬ પરીક્ષા સ્થળોએ યોજાનારી વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક કસોટીમાં ૩૯,૮૮૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે. અને GUJCET માં ૧૧૨૦ બ્લોકમાં ૨૨,૪૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. SSC પરીક્ષાનો સમય સવારે ૧૦.૩૦ થી ૧.૧૫ અને HSC નો સમય બપોરે ૩.૦૦ થી ૬.૧૫ રહેશે.
.
*QR કોડથી મળશે સચોટ લોકેશન*
. . . . . . . . . . . . . . .
જિલ્લાનાં તમામ ૭૨૦ પરીક્ષા કેન્દ્રોના ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રોનું લોકેશન મેળવી શકશે. તમામ કેન્દ્રોના લોકેશનનો ક્યુઆર કોડ જનરેટ કરી વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેમજ દરેક શાળાના નોટીસબોર્ડ પર પણ લગાવવામાં આવશે.
પરીક્ષા મિત્ર હેલ્પ્લાઇન
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ધો.૧૦, ૧૨ સા.પ્રવાહ તથા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે વિશેષ ‘પરીક્ષામિત્ર હેલ્પલાઇન’ શરૂ કરાઈ છે. જેમાં વિવિધ વિષયોના કુલ ૧૯૦ શિક્ષકો તથા ૨ મનોવૈજ્ઞાનિકો એમ કુલ ૧૯૨ પરીક્ષામિત્રોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં શિક્ષકોનું નામ, શાળાનું નામ, મો.નં., વિષય તથા ઉપલબ્ધ સમય દર્શાવવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ સંબંધિત પ્રશ્નો, સંશયો તથા પરીક્ષાના માનસિક દબાણ કે મૂંઝવણ અંગે માર્ગદર્શન મેળવી શકે છે. આ હેલ્પલાઈનની વધુ વિગતો માટે કંટ્રોલરૂમનો ફોન નં.૦૨૬૧-૨૬૬૨૯૦૨ ઉપર સંપર્ક કરી શકાશે.



