સંસારમાં ઘર્ષણ થતા 5 વર્ષ થી અલગ રહેતા દંપતીનુ સમાધાન કરાવતી બારડોલી 181 અભયમ ટીમ
ઘરેલું કંકાસ ના કારણે સાંસારિક જીવન માં ઘર્ષણ થતા ૫ વર્ષ થી પિયર માં રહેતી પરણિતા નું તેના પતિ સાથે બારડોલી અભયમ મહિલા ટીમે સફળ કાઉન્સિલિંગ કરી પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું.મહુવા તાલુકા ના એક ગામ માં રહેતી એક પીડિત મહિલાએ 181 અભયમ મહીલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેનું સાસરું મહુવા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે. પોતે છેલ્લા 5 વર્ષ થી પોતાના પિયરમાં રહે છે. તેની સાસુ તેને તેમના ઘરે રાખવા માટે ના કહે છે, તેમજ પતિ છુટાછેડા લઈ લેવા માટે કહે છે. તેથી પતિ અને સાસુનુ કાઉન્સેલિંગ કરવા માટે 181 અભયમ ટીમની મદદની જરૂર છે.
માહિતી મળતા જ બારડોલી 181 ટીમના કાઉન્સેલર ખુશ્બુ પટેલ , મહિલા હેડ કોન્સ્ટેબલ ચંદ્રિકા ચૌધરી તેમજ પાયલોટ ધર્મેશ પટેલ તાત્કાલિક બારડોલીથી નીકળી ઘટના સ્થળ પર પીડિતા મહિલાની મદદ માટે દોડી ગયા હતા.પીડિતા મહિલાના કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે તેમણે પ્રેમ લગ્ન કરેલ છે અને લગ્નને 7 વર્ષ જેટલો સમયગાળો થયેલ છે.પીડિતા મહિલા અને તેમના પતિ એ તેમના પરિવારના વિરૂદ્ધમાં જઈને પ્રેમ લગ્ન કર્યા હતાં. પીડિતા મહિલાના સાસુ અવાર-નવાર નાની નાની બાબતોમાં ઝઘડાઓ કરતાં અને ઘરકામની બાબત ને લઈને વારંવાર મેણા-ટોણા સંભળાવતા હતા. સાસુ દ્વારા થતી હેરાનગતિથી કંટાળીને મહિલા તેમના પિયરમાં રહેવા જતા રહ્યાં હતાં .અને છેલ્લા 5 વર્ષ થી પીડિતા મહિલા તેમના પિયરમાં જ રહે છે. પીડિત મહિલાના સાસરીપક્ષ વાળા ભરણ પોષણ માટે પૈસા આપતા નથી.પીડિતા મહીલાના પિતાનું પણ અવસાન થઈ ગયું છે છતાં પણ પીડિતા મહીલાના ભરણ પોષણનો તમામ ખર્ચ તેમના પિયરપક્ષ દ્વારા કરવામાં આવે છે. પીડિતા મહીલાના પતિ તેમને વારંવાર છુટાછેડા લઈ લેવા માટે કહે છે. તેથી આજ રોજ પીડિતા મહિલા મહુવા તેમની સાસરીમાં આવેલ અને 181 અભયમ ટીમની મદદ લીધી હતી.
181 અભયમ ટીમે મહિલાના પતિને રૂબરૂમાં પુછપરછ કરતાં જણાવેલ કે મારા પિતાએ મારી માતાના અવસાન પછી બીજા લગ્ન કરેલ છે. મારા પિતાના અવસાન પછી મારી સોતેલી માં મને વારંવાર ધમકીઓ આપે છે કે જો તારી પત્નીને અહીં ઘરમાં લાવશે તો તને પણ ઘરમાંથી કાઢી મૂકીશ ઘર અને પૈસામાં કોઈ અધિકાર આપીશ નહીં. તેમજ મારા પિતાની સરકારી નોકરી મને મળવાની છે એ બાબતનો કોર્ટ કેસ પણ ચાલું હોય તેથી હાલ હું બીજુ કોઈ પણ નોકરી કરી શકતો નથી. હું મારી પત્નીને છુટાછેડા આપવાં માગતો નથી પણ મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને હું મારી પત્નીની કોઇ પણ જવાબદારી ઉપાડીન શકતો નથી. તેથી મારી પત્નીનું ભવિષ્ય ખરાબ નો થયા એવું વિચારી ને છુટાછેડા લઈ લેવા માટે કહ્યુ હતું. ત્યારબાદ પીડિત મહિલાના પતિના કાઉન્સેલિંગ દરમિયાન સમજાવ્યા.બંને પક્ષના કાઉન્સેલિંગ દરમ્યાન કાયદાકીય સલાહ, સૂચન,માર્ગદર્શન આપીને સમસ્યાનું નિરાકરણ કરેલ ત્યારબાદ 181 અભયમ ટીમે પીડિતા મહિલા અને તેમના સાસુ વચ્ચે થતા ઝગડાનુ ઝીણવટ પૂર્વક ચર્ચા કરી બંને વચ્ચે મતભેદો દૂર કરી રાજીખુશીથી સમસ્યાનું સમાધાન કરીને તેમનું લગ્નજીવન તૂટતા બચાવ્યું હતુ. પ્રેમપૂર્વક સમસ્યાનું સમાધાન થતા બંને પક્ષ દ્વારા 181 અભયમ ટીમનો હદય પૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો


