ગણેશ વિસર્જનમાં કાછલ ગામનો યુવક ઊંડા પાણી તણાઈ ગયા બાદ ત્રીજા દિવસે ફાયરની ટીમે મૃતદેહ શોધી કાઢ્યો.

ગણેશ વિસર્જનના દિવસે મહુવા તાલુકાના કાછલ ગામે આવેલ ગૌચર ફળિયાનો રહીશ ચેતન શુક્કર ચૌધરી ધુમાશી ખાડીના પાણીમાં ડૂબી ગયો હતો.
ભારે ઉત્સાહ સાથે કાછલ ગામના ગૌચર ફળિયામાં સ્થાપના કરેલ ગણપતિની ધૂમધામથી વિસર્જન યાત્રા નીકળી હતી. ગામમાં ફરી વિસર્જન યાત્રા કાછલ ગામની ધુમાશી ખાડીમાં ગઇ હતી. ખાડીમાં વિસર્જન સમયે પાણીના વહેણમાં 3 યુવકો તણાયા હતા. જે પૈકી બે ડૂબતા બચી જવા પામ્યા હતા. જ્યારે પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતો ચેતન શુક્કર ચૌધરી ઉ. વ. 31 પાણીના વહેણમાં તણાઈને ડૂબી ગયો હતો. બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરાતા ઘટના સ્થળે મોડી સાંજના
અંધારામાં તેની લાશ શોધવાના પ્રયત્ન કરાયા હતા. પરંતુ બે દિવસ સુધી ભારે શોધખોળ કરવા છતાં તેની લાશ મળી શકી નહોતી. આજરોજ ત્રીજા દિવસે ફરી એકવાર બારડોલી ફાયર બ્રિગેડ ટીમે શોધખોળ શરૂ કરતા બનાવના સ્થળથી દોઢ કી.મી દૂર કાછલ ગામે આવેલ સરકારી કોલેજ નજીકના પુલ નીચે તૂટેલા એંગલમાં ફસાયેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી. ફાયર બ્રિગેડ ટીમે લાશનો કબજો મહુવા પોલીસને સોંપ્યો હતો.





