બાગાયત પાકોની વિદેશમાં નિકાસ માટે ખેડૂતોને ફાર્મ રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ
શાકભાજી, ફળો જેવા બાગાયતી પાકોની નિકાસ માટે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ એક્સ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટીની વેબસાઈટ પર ફરજિયાત રજિસ્ટ્રેશન જરૂરી
સુરત જિલ્લાના બાગાયતી પાકો જેવા કે કેરી, ચીકુ, જામફળ અને અન્ય ફળો તેમજ ભીંડા, મરચા, પરવળ, દૂધી જેવા શાકભાજી પાકોની ખેતી કરતા ખેડૂતોને વિદેશમાં નિકાસ કરવા માટે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ એક્સ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયા (APEDA) ની વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
રજિસ્ટ્રેશનની કામગીરી નાયબ બાગાયત નિયામકની કચેરી-સુરત દ્વારા કરવામાં આવે છે. જેથી રસ ધરાવતા ખેડૂતોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી જરૂરી સાધનિક કાગળો જેવા કે, ૭-૧૨, ૮- અ, આધારકાર્ડની નકલ, ફાર્મનો નકશો તથા ફાર્મ ડાયરી વગેરે જોડીને, પોતાના જિલ્લામાં આવેલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીમાં રજૂ કરવી જરૂરી છે. ત્યારબાદ અરજીની ચકાસણી કરી સર્ટિફિકેટ આપવામાં આવશે. ફોર્મ મેળવવા અને અરજી કરવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, બાગાયત ભવન, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઈન્સનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક-સુરતની યાદીમાં જણાવાયું છે.






