આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૧૭.૬૮ લાખના ૬ વિકાસકામોનું ખાતમુહૂર્ત
માંડવીના દરેક ગામોમાં વિકાસ કરી રમણીય બનાવવાનો સંકલ્પ છે
ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ-સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છેઃ
-: *આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ*

ગામતળાવ ખુર્દ ગામે આદિજાતિ મંત્રીના અધ્યક્ષસ્થાને ખાતમુહૂર્ત સમારોહ યોજાયો
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૧૭.૬૮ લાખના સી.સી.રસ્તા, પેવર બ્લોક, ગટર લાઇન, કોમ્યુનિટી હોલ નવીનીકરણના કુલ ૬ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
રૂ.૨.૫૦ લાખના ખર્ચે તરસાડા ખુર્દ ગામે દુધ ડેરી તરફ જતા સી.સી.રસ્તાનું કામ, રૂ.૨.૫૦ લાખના ખર્ચે તરસાડા ખુર્દ ગામના વચલા ફળિયામાં પેવર બ્લોક, રૂ.૧.૪૭ લાખના ખર્ચે પેવર બ્લોક, રૂ.૨.૨૧ લાખના ખર્ચે ગટર લાઇન, રૂ.૪ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું રિનોવેશન, રૂ.૫ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ શેડનું કામ મળી કુલ રૂ.૧૭.૬૮ લાખના ૬ કામોનું ખાતમુહૂર્ત મંત્રીશ્રીના હસ્તે સંપન્ન થયું હતું. આ કામો થકી સ્થાનિક નાગરિકો માટે આગવી માળખાગત સુવિધાઓ ઉભી થશે.
ગામતળાવ ખુર્દ ગામે આયોજિત ખાતમુહૂર્ત સમારોહમાં આદિજાતિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માંડવી વિકાસના માર્ગે હરણફાણ ભરી રહ્યું છે. માંડવી તાલુકાના દરેક ગામોનો વિકાસ કરી રમણીય બનાવવાનો મારો સંકલ્પ છે. રાજ્ય સરકારે છેવાડાના ગ્રામજન, નાના વ્યક્તિનો વિચાર કરી એ વિકાસને પ્રાથમિકતા આપી રહી છે. ગ્રામ્ય તેમજ શહેરી નાગરિકોની સુખ-સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થશે, તેમજ બાકી રહેલાં કામોને આગામી સમયમાં પ્રાથમિકતા આપી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું .
આ વેળાએ મંત્રીશ્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, માંડવી એપીએમસીના ચેરમેન લલ્લુભાઇ ચૌધરી, સરપંચ એસો.ના પ્રમુખ કમલેશભાઇ ચૌધરી, અગ્રણી સર્વશ્રી અનિલ ચૌધરી, દિનેશ પટેલ, સરપંચ મનીષાબેન, વિવિધ ગામના સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






