બારડોલી સ્ટેશન રોડ ઉપરના જલારામ સર્કલથી સરદાર ચોકથી લીંમડા ચોક સુધીના આવવા જવાના બન્ને રસ્તા ઉપર શોભાયાત્રા કાઢવા ઉપર પ્રતિબંધ
સુરત ગ્રામ્યમાં દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ખૂબ ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, ત્યારે બારડોલી તાલુકામાં આ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે તા.૧૯/૦૯/૨૦૨૩નાં રોજ ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાઓની ગણેશ સ્થાપના તેમજ ગણેશ વિસર્જનની શોભાયાત્રા, સરઘસ સાથે થનાર છે. જે અંતર્ગત શોભાયાત્રા બારડોલી સ્ટેશન રોડ ઉપરના જલારામ સર્કલથી સરદાર ચોકથી લીંમડા ચોક સુધીના આવવા જવાના બન્ને રસ્તા ઉપર કાઢતા હોય છે. જે અતિ સંવેદનશીલ વિસ્તાર તથા રસ્તા સાંકડા હોવાથી ટ્રાફિકનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય, શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક તથા કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેવા આશયથી સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વાય.બી.ઝાલાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
જાહેરનામા અનુસાર બારડોલી સ્ટેશન રોડ ઉપરના જલારામ સર્કલથી સરદાર ચોકથી લીંમડા ચોક સુધીના આવવા જવાના બન્ને રસ્તા ઉપર તા.૧૭/૦૯/૨૦૨૩ થી તા.૨૭/૦૯/૨૦૨૩ ના રોજ સુધી શોભાયાત્રા કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામુ તા.૨૭/૦૯/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


