પેન્શનરોએ વાર્ષિક હયાતીની ખરાઈ કરાવી લેવા અનુરોધઃ
તિજોરી કચેરી સાથે સંલગ્ન બેંક શાખામાં તા.૦૧/૦૫/૨૦૨૫ થી તા.૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં કરાવી શકાશેઃ
પેન્શનરો www.jeevanpramaan.gov.in વેબસાઈટ પર પણ ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકશે
સુરતની પેન્શન ચુકવણા કચેરી અને તાબાની પેટા તિજોરી કચેરીઓમાંથી IRLA સ્કીમ હેઠળ (બેંક મારફત) રાજય સરકાર તથા કેન્દ્ર સરકારના પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તિજોરી કચેરી સાથે સંલગ્ન બેંક શાખામાં જ તા.૦૧/૦૫/૨૦૨૫ થી તા.૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં કરાવી લેવાની રહેશે. તા.૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં જે પેન્શનરોના હયાતિના ફોર્મ કચેરીને મળશે નહિ તેવા પેન્શનરોનું માહે ઓગષ્ટ-૨૦૨૫ પેઈડ ઈન સપ્ટેમ્બર-૨૦૨૫ થી પેન્શન બંધ કરવામાં આવશે જેની સર્વે પેન્શનરોને નોંધ લેવી. પેન્શનરોએ www.jeevanpramaan.gov.in વેબસાઈટ પર પણ ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકશે. જે પેન્શનરોએ આધાર કાર્ડ અને પાન કાર્ડ આપ્યાં નથી તેવા પેન્શનરોએ આધાર કાર્ડ અને પાન કાર્ડ હયાતિના ફોર્મ સાથે અચુક સામેલ કરવાના રહેશે.
વિદેશમાં રહેતા પેન્શનરોએ તેઓની હયાતી નોટરી પાસે ફોટા સહિત, બેંક/શાખા, પીપીઓ નંબર, ખાતા નંબર લખીને કરાવવાની રહેશે. કચેરીની પુર્વ મંજુરી વિના જે પેન્શનરોએ બેંકની શાખા બદલેલ હશે તેવા પેન્શનરોની હયાતિની ખરાઇ કરવામાં આવશે નહિ જેની દરેક પેન્શનરોએ નોંધ લેવી. પેન્શનરોએ કચેરીમાં પીપીઓમાં કરેલી સહીના નમુના મુજબની જ સહી હયાતીના ફોર્મ પર કરવાની રહશે. ૨૦૨૪-૨૫ના આવકના પ્રમાણપત્ર https://cybertreasury gujarat.gov.in વેબસાઈટ પરથી મેળવી લેવું એવું સુરતની પેન્શન ચુકવણા કચેરીના શ્રેયાન તિજોરી અધિકારીની યાદીમાં જણાવાયું છે.






