સુરતના સરસાણા ખાતે SGCCI દ્વારા આયોજિત ‘સુરત સ્ટાર્ટ અપ સમિટ ૨૦૨૩’નો પ્રારંભ કરાવતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી
દેશ અને રાજ્યમાં હાલ સ્ટાર્ટ અપ માટે શ્રેષ્ઠ સમય
સમય સાથે ઉદ્યોગોમાં થતા આધુનિકીકરણ, નવીનીકરણને કારણે જ તેને સ્ટાર્ટ અપ ગણવામાં આવે છે: ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનરશ્રી બંછાનિધિ પાની
ત્રિ-દિવસીય સ્ટાર્ટ અપ સમિટમાં ૫૫ સ્ટોલ સાથે સાહસિક ઉદ્યોગકારો દ્વારા નવી પ્રોડક્ટસનું પ્રદર્શન
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલ ખાતે SGCCI- દ.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ‘સુરત સ્ટાર્ટ અપ સમિટ ૨૦૨૩’નો શુભારંભ કરાવ્યો હતો. તા.૨૭ થી ૨૯ ઑક્ટો. દરમિયાન આયોજિત ત્રિ-દિવસીય સ્ટાર્ટ અપ મેળામાં સુરત, અમદાવાદ અને વડોદરાનાં ઉદ્યોગકારો દ્વારા ૫૫ જેટલા સ્ટોલ્સમાં વિવિધ પ્રોડક્ટ અને સેવાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. છે.
સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા અને સુરતના ઉદ્યોગકારોમાં જાગૃતતા લાવવાના હેતુસર આયોજિત આ સમિટમાં ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યુ કે, સ્ટાર્ટ અપનું ક્ષેત્ર મક્કમ પગલે દેશનાં અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. બદલાતા સમય સાથે સ્ટાર્ટ અપનું સ્વરૂપ બદલાયું છે. સમય સાથે ઉદ્યોગોમાં થતા આધુનિકીકરણ, નવીનીકરણને કારણે જ તેને સ્ટાર્ટ અપ ગણવામાં આવે છે. તેમણે કહ્યું કે, નવયુવાન વિદ્યાર્થીઓના ટેલેન્ટ અને ટેકનોલોજીનાં સુસંગમથી તદ્દન નવી પ્રોડક્ટ કે સેવા મેળવી શકાય છે. જે દેશ અને રાજ્યનાં વિકાસમાં ઉપયોગી નીવડે છે.
આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનું મહત્વ દર્શાવી ‘ઈનોવેશન ઈઝ ધ કી’ એમ જણાવતા તેમણે સ્ટાર્ટ અપ સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગકારોને પોતાના વ્યવસાય અર્થે ઊંડાણપૂર્વક સંશોધન કરવા જણાવ્યુ. તેમણે કહ્યું કે, કોઈ પણ સ્ટાર્ટ અપની સફળતાનો આધાર તેમાં થતા સતત રિસર્ચ અને ડેવલોપમેન્ટ પર હોય છે. રિસર્ચ અને ડેવલપમેન્ટ જ દેશને સ્ટાર્ટ અપ રિવોલ્યુશનના એક નવા યુગ તરફ દોરી જશે એમ તેમણે ઉમેર્યું હતું.
દેશ અને રાજ્યમાં હાલ સ્ટાર્ટ અપ માટે શ્રેષ્ઠ સમય છે એમ જણાવતા કમિશનરશ્રીએ કહ્યું કે, ટેકસટાઈલ, એનિમલ હસબન્ડરી, એગ્રીકલ્ચર, ઓટોમેશન જેવા દરેક ક્ષેત્રે સ્ટાર્ટ અપ મહત્વનું યોગદાન આપી શકે છે. સાથે જ આગામી સમયમાં પ્રી-વાયબ્રન્ટ સમિટના રૂપમાં ગાંધીનગર ખાતે યોજાનારી સ્ટાર્ટ અપ કોન્કલેવની રૂપરેખા જણાવી સ્ટાર્ટ અપ અને તેની સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દીની ભૂમિકા આપી હતી.
આ કાર્યક્રમમાં GKS- ગુજરાત નોલેજ સોસાયટીના એડિશનલ સીઇઓ પ્રો.તુષાર રાવલ અને ગુજરાત વેન્ચર ફાયનાન્સ લિ.ના સીઇઓ કમલ બંસલ, SGCCIના ભૂતપૂર્વ પ્રમુખ સર્વશ્રી હિમાંશુ બોડાવાલા, આશિષ ગુજરાતી, શરદ કાપડિયા, દિલીપ ચશ્માવાલા, સ્ટાર્ટ અપ ચેરમેન મયંકભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.






