દિવેલાના ઊભા પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે ખેડૂતમિત્રોએ નિયત પગલા લેવા અનુરોધ
ચુસિયા પ્રકારની જીવાતોની હાજરી જાણવા માટે વાવણી બાદ એક મહિને પીળા ચીકણા પિંજર ૧૦ પ્રતિ હેક્ટરે લગાવવા જેથી સમયસર નિયંત્રણના પગલાં ભરી શકાય. ચુસિયા પ્રકારની જીવાતોના ઉપદ્રવ સમયે લીંબોળીનું તેલ ૫૦ મિ.લી. અથવા એઝાડિરેક્ટીન યુક્ત ૧૫૦૦ પીપીએમ દવા ૫૦ મિ.લી. સાથે ૧૦૦ મિ.લી. તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ પ્રતિ ૧૦ લીટર પાણી સાથે ઉમેરી છંટકાવ કરવો. ચુસિયા પ્રકારની જીવાતોના જૈવિક નિયંત્રણ માટે લેકાનીસીલીયમ લિકાની અથવા બ્યુવેરીયા બેસિયાના ફુગનાશક પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઉમેરી ઉપદ્રવ સમયે છંટકાવ કરવો.
પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રની કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલા રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરિયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપરના લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર કરવો.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/તા.અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિ.ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.





