સુરત જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડીયા હેઠળ સધન સ્વચ્છતા ઝુંબેશ યોજાશે
સમગ્ર પખવાડીયા દરમિયાન સ્વચ્છતા હી સેવાને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવણી કરાશેઃ
ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્થળો ઉપરાંત પ્રવાસન, ધાર્મિક, ઔદ્યોગિક વિસ્તારો સહિતના સ્થળોએ જનભાગીદારીથી સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરાશે
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના અવસરે દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના ૧૧માં વર્ષની ઉજવણી નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ પખવાડીયાની ઉજવણી કરાશે. જે અન્વયે ગ્રામ/તાલુકા/જિલ્લા પંચાયતો સહિત દરેક વિભાગોમાં સઘન સ્વચ્છતા અભિયાન યોજાશે.
આ અભિયાન હેઠળ સંપૂર્ણ સ્વચ્છતા, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, મેગા કલીનીંગ ડ્રાઈવ, બ્લેક સ્પોર્ટ પરિવર્તન સહિતની પર્વૃત્તિઓ તેમજ સફાઈ કર્મચારીઓ અને તેમના આશ્રીતોનાં કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે.
સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્થળો ઉપરાંત પ્રવાસન, ધાર્મિક, ઔદ્યોગિક વિસ્તારો, કોલેજો, યુનિવર્સિટીઓ, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો સહિતના દરેક વિભાગો સાથે મળીને જનભાગીદારીથી સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. તેના અસરકારક અમલીકરણ અને સુપરવિઝન માટે સુરત જિલ્લાના વિવિધ તાલુકા માટે મુખ્ય લાયઝન અધિકારી, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે તથા સહ નોડલ અધિકારી તરીકે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. જેથી સૌને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે.





