‘હરિયાળા પ્રદેશની સંકલ્પનાને સાર્થક કરતો ઉત્સવ એટલે વન મહોત્સવ’
બારડોલી ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ૭૬મા વન મહોત્સવની ઉજવણી
વિકાસના મુખ્ય પાંચ સ્તંભમાં ગ્રીન ગ્રોથનું મહત્વનું સ્થાન છે.

‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ગુજરાતમાં સાડા સત્તર કરોડ વૃક્ષોનું વાવેતર કરાયુ:* *વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
સુરત જિલ્લામાં ૧૯ કવચ વન, એક પવિત્ર વન અને ૯ કવચ વનનું નિર્માણ કરાયું છે:
નાયબ વન સંરક્ષકશ્રી સામાજીક વનીકરણ
વનમંત્રીએ વિવિધ ગામોમાં વૃક્ષ-રોપા વિતરણ માટે વૃક્ષ રથને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઉમરાખ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉમરાખ સ્થિત વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ખાતે સુરત વનીકરણ વિભાગ દ્વારા ૭૬મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોએ વિવિધ ગામોમાં વૃક્ષ-રોપા વિતરણ માટેના વૃક્ષ રથને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ અવસરે મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં ૭૬ વર્ષથી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત સામાજીક વનીકરણમાં પણ અગ્રેસર રહ્યું છે. સર્વાંગી વિકાસ સાથે સાથે હરિયાળું ગુજરાત બને તે માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલી બનાવી છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વિકાસના મુખ્ય પાંચ સ્તંભમાં ગ્રીન ગ્રોથનું મહત્વનું સ્થાન છે. દેશ ઝડપથી વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે વિકાસ એટલે માત્ર ઔધોગિકીકરણ કે શહેરીકરણ નહી, પરંતુ માનવી અને કુદરત વચ્ચે સંતુલન સ્થાપિત કરીને થતો સર્વાંગી વિકાસ હોવો અનિવાર્ય છે. પર્યાવરણની જાણવણી માટે વૃક્ષારોપણનો એક નાનો પ્રયાસ મોટું કામ કરશે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ મા કે નામ’ દેશવ્યાપી અભિયાન શરૂ કરી દેશમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનું આહ્વાન કર્યું છે. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત દેશમાં ૧૪૧ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ગુજરાતમાં હરિત વન યોજના હેઠળ ૧૦૦ હેક્ટરમાં વૃક્ષારોપણ કરાયું છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, ગત વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ મા કે નામ 2.0ની શરૂઆત થઈ છે. દુનિયામાં ‘માતૃત્વ’, મમતા અને વાત્સલ્ય સૌથી પવિત્ર હોય છે, ત્યારે માતા પુત્રના પવિત્ર સંબંધ નિભાવવા ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ ગુજરાતમાં સાડા સત્તર કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જન્મથી લઈને મૃત્યુ સુધી લાકડાનો ઉપયોગ અનિવાર્ય છે. દરેક નાગરિકે પોતાના જન્મ દિવસે એક વૃક્ષ વાવીને તેના જતન માટે સંકલ્પબદ્ધ બનવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
મંત્રીશ્રીએ સૌ નાગરિકોને ‘એક પેડ મા કે નામ’ ૨.O અભિયાનમાં જોડાઈ જનભાગીદારીથી રાજ્યને હરિયાળુ, સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. વન કવચ યોજના હેઠળ આ વર્ષે ૪૦૦ હેક્ટરમાં વન કવચના નિર્માણ માટે બજેટમાં જોગવાઈ કરી છે.
આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજયમાં વન મહોત્સવની ઉજવણી ૧૯૫૦થી શરૂ થઈ હતી. વૃક્ષો આપણી ધરતી માતાના ઘરેણાં છે. વૃક્ષો પર્યાવરણની દ્રષ્ટિએ કરોડરજ્જુ છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ગુજરાતની આબોહવાને અનુરૂપ રાજ્યમાં મિયાવાકી પદ્ધતિથી વનો બનાવવા વન કવચ યોજના અમલી બનાવી છે. રાજ્ય સરકારે ૨૦૦૪થી સાંસ્કૃતિક વનોનું નિર્માણ થઈ રહ્યું છે. વન સિવાયના વિસ્તારમાં વૃક્ષારોપણમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલ વૃક્ષોની ગણતરી મુજબ વન બહારના વિસ્તારમાં વર્ષ ૨૦૦૩માં ૫.૧૦ કરોડ વૃક્ષો હતા. જે વધીને વર્ષ ૨૦૨૧માં વધીને વર્ષ ૩૯.૭૫ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થયું છે.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી (સામાજીક વનીકરણ) સુશ્રી મિનલ સાવંતે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ૪૧ નર્સરીઓમાંથી વિવિધ જાતના કૂલ ૨૪ લાખથી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વર્ષે સુરત જિલ્લામાં ૨૨.૫ હેક્ટર વિસ્તારમાં ૧૯ કવચ વનનું નિર્માણ કરાયું છે. સાથે પલસાણા રેંજમાં એક પવિત્ર ઉપવન બનાવવામાં આવ્યું છે. ઉપરાંત જિલ્લામાં ૯ વનકુટિર બનાવવામાં આવી છે. વનીકરણ વિભાગ દ્વારા ૧૪૪૮ હેક્ટરમાં ૧૨.૪૪ લાખ રોપાનું વાવેતર પ્રગતિ હેઠળ છે.
વધુમાં નાયબ વન સંરક્ષકશ્રીએ કહ્યું હતું કે, હરિત વન પથ, પંચ રત્ન ગ્રામ વાટિકા અને અમૃત સરોવર યોજનામાં કુલ ૭૫.૫ હેક્ટરમાં દસ હજારથી વધુ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.છેલ્લાં પાંચ વર્ષમાં સુરત જિલ્લામાં ૨૦ લાખ વૃક્ષો વધ્યા છે, તે આવનાર સમયમાં હરિત ક્રાંતિ લાવવામાં મહત્વનો પરિબળ બની રહેશે એમ ઉમેર્યું હતું.
વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું તેમજ વિશેષ સેવા બજાવનારને પ્રશંસાપત્ર એનાયત કરાયા હતા. બારડોલી વિદ્યાભારતી કોલેજ કેમ્પસ ઉમરાખ ખાતે મંત્રીશ્રી, મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ વેળાએ જિલ્લાની રેન્જોમાં આવતા ઉંભેળ ગામને ગ્રામવન વાવેતરની ઉપજના રૂ.૧૧,૦૮,૮૧૩ અને માંગરોળ રેંજના રણકપોર ગામને ગ્રામવન વાવેતર ઉપજના રૂ.૧૩,૫૯,૬૧૦ લાભાર્થીઓને ચુકવવામાં આવ્યા હતા. મહિલા ગ્રુપ નર્સરી યોજના અને DCP, SCP યોજના હેઠળના લાભાર્થીઓને સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, નાયબ વન સંરક્ષકશ્રી ધીરજકુમાર (I.F.S), બારડોલી પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમાર, અગ્રણી ભરતભાઈ રાઠોડ, ભાવેશભાઈ પટેલ, વિદ્યાભારતી ટ્રસ્ટના કિરીટભાઈ, ફોરેસ્ટ અધિકારીઓ, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ સહિત ખેડૂતો, ગ્રામજનો, વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.




