નવા ફળીયા વર્ગ પ્રાથમિક શાળા ડુંગરીના શિક્ષકની બદલી કરવા અંગે વાલીઓનું આવેદનપત્ર
નવા ફળીયા વર્ગ પ્રાથમિક શાળા ગામ- ડુંગરી તા.મહુવાના શિક્ષક સંજયભાઈ તા. ૫/૭/૨૦૨૩ ના રોજ જિલ્લા ફેરબદલીથી નર્મદા જિલ્લામાંથી સુરત જિલ્લાના મહુવા તાલુકાની ડુંગરી ગામની નવા ફળિયાની વર્ગ પ્રાથમિક શાળામાં હાજર થયા હતા. ધોરણ ૧ થી ૫ ની પ્રાથમિક શાળામાં કુલ ૨ શિક્ષકો છે જેમાંથી નવા હાજર થયેલા શિક્ષક સંજયભાઇ જ્યારથી શાળામાં હાજર થયા છે ત્યારથી શાળામાં બાળકોને શિક્ષણ કાર્ય કરાવતા નથી અને નશાની હાલતમાં શાળામાં આવે છે તેમજ શાળામાં આવીને વિદ્યાર્થીઓ સામે ઉંઘી જવું વગેરે હરકતો કરે છે
આ અંગેની જાણ વાલીઓને થતા વાલીઓએ તેમજ એસ.એમ.સી સભ્યો દ્વારા શિક્ષકને વારંવાર મૌખિક સૂચનાઓ આપી હતી તેમજ શિક્ષકશ્રી એ તાલુકા શિક્ષણાધિકારી ની હાજરીમાં આવું કૃત્ય ફરી ન કરવા અંગેનું બાહેધરીપત્ર પણ લખી આપ્યું હતું છતાં પણ આ શિક્ષક મહાશય સુધરવાનું નામ ન લેતા અને છેલ્લા ત્રણ મહિનાથી બાળકોનું શિક્ષણ અને ભવિષ્ય બગડતા જોતા આજરોજ શાળાના એસ.એમ.સી અધ્યક્ષ શ્રીમતી બબિતાબેન સુનિલભાઈ ચૌધરી તેમજ ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને ડુંગરી ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ભેગા મળીને તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી આ શિક્ષકની બદલી કરવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી મહુવા શ્રી પી.સી.મહાલા દ્વારા આ ઘટનાની ગંભીરતા ને ધ્યાને લઇને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા અંગેની વાલીઓને ખાત્રી આપી હતી.આવેદનપત્ર આપવા સમયે મહુવાના સામાજીક આગેવાન શ્રી નરેનભાઈ ચૌધરી પણ વાલીઓ તરફે રજૂઆત કરવા ખાસ હાજર રહ્યા હતા. આ આવેદનપત્ર ઉપરાંત તમામ વાલીઓએ સહી કરીને બાળકોનું ભણતર બગડી રહ્યું છે તેનો ઝડપી ન્યાય મળે તે હેતુથી ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે


