મહુવા તાલુકા ટેટ/ટાટ પાસ ઉમેદવારો દ્વારા જ્ઞાન સહાયક ભરતી રદ કરવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે જ્ઞાન સહાયકની ૧૧ માસની કરાર આધારિત ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેનો સમગ્ર ગુજરાતભરમાંથી ટેટ ટાટ પાસ ઉમેદવારો જોરદાર વિરોધ કરી રહ્યાં છે. વર્ષ ૨૦૧૭ બાદ રાજ્ય સરકાર દ્વારા નવી પદ્ધતિથી ટાટની દ્રી – સ્તરીય પરીક્ષા લેવામાં આવી અને એના પરિણામ આવી ગયા બાદ રાજ્ય સરકારે કાયમી ભરતીની જાહેરાત કરવાને બદલે જ્ઞાન સહાયક નામની કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી તેનાથી ઘણા સમયથી રાત દિવસ મહેનત કરીને કાયમી ભરતીની રાહ જોતા ટેટ ટાટ પાસ ઉમેદવારોની આશા ઉપર પાણી ફરી વળ્યુ છે જેને લઇને સમગ્ર ગુજરાતમાં જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે જેને લઇને આજરોજ મહુવા તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ભેગા થઈને મહુવા બસ સ્ટેશનથી રેલી યોજીને જ્ઞાન સહાયક ભરતી રદ કરો ના નારા લગાવતા સાથે મહુવા મામલતદાર સુધી પહોંચ્યા હતા જ્યાં મહુવા મામલતદારશ્રી મારફત મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર આ જ્ઞાન સહાયકની ભરતી રદ કરે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ ના મુદ્દા નંબર ૫૧૭ પ્રમાણે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અને શિક્ષિત બેરોજગારોને ન્યાય આપવામાં આવે એ મુજબની માંગણી કરવામાં આવી હતી અને જો સરકાર દ્વારા આ જ્ઞાન સહાયકની ભરતી રદ કરવામાં ન આવે અને કાયમી ભરતીની જાહેરાત ન કરવામાં આવે તો ટેટ/ટાટ ઉમેદવારો દ્વારા આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભા ઘેરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
-નરેન ચૌધરી(મહુવા)


