ઉમરપાડા તાલુકાના મોટી દેવરુપણ ગામે ખેડૂતોને જીવામૃત બનાવવાની તાલીમ અપાઈ
ગુજરાત પ્રાકૃતિક બોર્ડ અંતર્ગત ઉમરપાડા તાલુકાના મોટી દેવરુપણ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેડૂતોને પ્રકૃતિનું જતન કરતી અને ન્યુનતમ ખર્ચે મહત્તમ નફો આપતી પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિષે અવગત કરી રાસાયણિક ખેતી છોડવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કરાયું હતું.
સાથે જ મોટી દેવરુપણ ગામે ખેડૂતોને દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ, દાળનો લોટ, અને ખેતરની માટીમાંથી બનતું અત્યંત પોષક અને પ્રાકૃતિક પ્રવાહી ખાતર ‘જીવામૃત’ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. જમીનમાં સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વધારીને ફળદ્રુપતા વધારતાં અને પાક માટે “જીવનના અમૃત” સમાન કામ કરતા જીવામૃતનો ઉપયોગ કરી ઝેર મુક્ત ઉત્પાદન મેળવવા પ્રોત્સાહિત કર્યા હતા.





