રાજય સરકાર દ્વારા હાથ ધરાયું છે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન
યોગસંવાદ તથા યોગશિબિરમાં સૂરતીઓને બહોળી સંખ્યામાં ભાગ લેવાનો અનુરોધ કરતા યોગબોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીઃ
તા.૪મી મેના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગ શિબિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશેઃ
વરાછાના સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે તા.૩ મે રોજ સાંજે ૦૩:૩૦ વાગ્યે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ યોજાશે
ગુજરાત રાજય યોગબોર્ડના ચેરમેનશ્રી યોગ સેવક શિશપાલજીએ સુરત સરકીટ હાઉસ ખાતે પત્રકારો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે ત્યારે રાજય સરકારે મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન દ્વારા મેદસ્વિતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન ઉપાડયું છે. ભારતીય સંસ્કૃતિની દેન સમા યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય છે. જે માટે યોગબોર્ડ કાર્ય કરી રહ્યું છે. રાજયભરમાં ૧.૫૦ ટ્રેનરો તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, રાજય સરકારના ગતિશીલ નેતૃત્વ હેઠળ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન દ્વારા મેદસ્વિતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે.
તેમણે વધુમાં કહ્યું કે, સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે યોગબોર્ડ દ્વારા તા.૩ મેના રોજ સાંજે ૩:૩૦થી ૬:૦૦ વાગ્યા દરમિયાન વરાછાના સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંવાદનો હેતુ મેદસ્વિતા નિવારણ અને યોગના ફાયદાઓ વિશે જનજાગૃતિ લાવવાનો છે. આ સંવાદમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે ચર્ચા સાથે યોગ આસનો, પ્રાણાયામ અને ધ્યાનના માધ્યમથી નાગરિકોને તેમના સ્વાસ્થ્યની જવાબદારી લેવા પ્રેરણા મળશે.
યોગબોર્ડના ચેરમેને કહ્યું કે, આગામી તા.૪ મેના રોજ સવારે ૫.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી વેસુ સ્થિત DRB કોલેજ, ભરથાણા ખાતે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે. આ શિબિર સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનનો ભાગ છે, જેમાં નાગરિકોને આસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવવામાં આવશે. આ શિબિર ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ના કાઉન્ટડાઉનનો પણ ભાગ હોવાનું તેમણે કહ્યું હતું. જેથી સુરતીઓને બહોળી સંખ્યામાં યોગશિબિરમાં ભાગ લેવાનો અનુરોધ કર્યો હતો.






